Panchal Pradesh - Land of Pandava's



કાઠીયાવાડ નું એક પરગણું પાંચાળ પ્રદેશના નામે જૂના કાળથી જાણીતું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાનગઢ, ચોટિલા, મૂળીએ બધો વિસ્તાર પાંચાળ ગણાય છે. સ્કંદપુરાણ અને પદ્મપુરાણમાં પાંચાળનો ઉલ્લેખ મળે છે. સૂર્યદેવળને મધ્ય માનીને તેની પૂર્વે મૂખી-માંડવરાય (માર્તંડદેવ-સૂર્ય) પશ્ચિમે મહીકુ, ઉત્તરે સરામાથક અને દક્ષિણમાં ચોટિલા અને આણંદપર એમ ૧૯૬ માઈલના ધેરાવામાં આ પરગણું પથરાયેલું હતું. અહીંની પ્રજા એને ‘દેવકો પાંચાળ દેશ’ પણ કહે છે.

આ પંથકનું નામ પાંચાળ શાથી પડયું હશે એનું અનુમાન કરતાં માયાશંકર પંડયા નોંધે છે કે આ ભૂમિનું નામ કણ્વઋષિનાં વખતમાં પાંચાળ બોલાતું હતું તેમ જણાય છે. ‘થાનમહાત્મ્ય’ના બારમા અધ્યાયમાં આપેલ હકીકત મુજબ રામચંદ્રજીએ ગુરુ વશિષ્ટને પૂછ્યું, ‘હે મુનિવર! મેં રાવણાદિક રાક્ષસોને માર્યા એ વખતે અગસ્ત્ય ઋષિએ કહ્યું કે રાવણ તો વિપ્ર બ્રાહ્મણ હતો, એટલે તમને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. પાપના નિવારણ અર્થે દેવભૂમિ પાંચાળમાં જાઓ. ત્યાં કણ્વ, ગાલવ, ઓતિથ્ય, અંગીરા અને ભ્રેસપતિ આદિ પાંચ ઋષિઓના તપથી પાવન થયેલી ભૂમિ છે. પાંચ ઋષિઓના વસવાટ પરથી આ પ્રદેશ પાંચાળ દેશના નામે જાણીતો છે. થાન પાસે આવેલા તરણેતરમાં તરણેતરિયો મેળો આજે ય ભરાય છે.

અમૃત પંડયા નોંધે છે કે પાંચાલ નામ સૌરાષ્ટ્રમાં શી રીતે આવ્યું તે સમજાતું નથી. પાંચાલી પાંડવોના વખતમાં થઈ ગયાં. રામચંદ્રજી એના પહેલાં ઘણા વરસે થયા. કેટલાક માને છે પંચાળ નામ પાંચાલ દેશ પરથી આવ્યું છે. મૂળ પાંચાલ ઉત્તર ભારતમાં હાલ બરેલી અલિગઢ છે ત્યાં હતું. દ્રોપદીનો પિતા તેનો રાજા હતો. કિંવદંતી અનુસાર પાંડવો આ ભૂમિ પર આવેલા. અર્જુને અહીં મત્સ્યવેધ કરેલો. દ્રોપદી અર્થાત્ પાંચાલીના નામ પરથી પંચાળ પ્રદેશ કહેવાયો હોવાનું અનુમાન છે. આ કંકુવરણી (રતુંબડી) ધરતીના પટાધર પુરુષો નમણી નારીઓ, નવરંગ તોરિંગ (અશ્વો). કિલ્લોલતા સારસ અને મૃગલા વખણાય છે. એ દુહા કહે છેઃ
આછા પાણી વીરડે, ધરતી લાંપડીઆળ
સરતીર્યાં સારસ લવે, પડ જુઓ પાંચાળ,

ગૂઢે વસ્તર ગોરિયાં, પગ પીંડીનો તાલ,
પનઘટ ઉપર પરહરે પડ જુઓ પાંચાળ,

કંકુવરણી ભોમકા, સરવો સાલેમાળ,
નર પટાધર નીપજે, ભોંય દેવકો પાંચાળ.

0 comments: